Home » રાષ્ટ્રીય » CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી નિર્ણય: વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત-CM Bhupendra Patel decides to provide relief in stamp duty in inheritance-related land transactions | ગાંધીનગર

CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી નિર્ણય: વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત-CM Bhupendra Patel decides to provide relief in stamp duty in inheritance-related land transactions | ગાંધીનગર

Last Updated:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વારસાઈ સંબંધિત જમીન વ્યવહારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 300ના ટોકન પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. જેથી દાદાનો આ નિર્ણય પ્રજાહિતલક્ષી નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી નિર્ણય
CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજાહિતકારી નિર્ણય કર્યો છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મરણ જનાર મૂળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.

જો સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હક દાખલના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવશે.

સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુક્ત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધી લીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડી લીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.

આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં:

જે કિસ્સામાં સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડી લીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવો, હયાતીમાં નામ/હક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખે રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી વસૂલી વિનિયમિત કરવાની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.

એટલું જ નહીં, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચણીમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હક પત્રક (record of rights) વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક અંગેની ગેરસમજ ઘટશે.

આ રૂ.300 ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments